આસ્થા અને અસ્મિતાની ગાથા
નવલકથાકાર કાન્તિલાલ પરમાર પાસેથી આપણને આ પહેલી નવલકથા ‘ગેબીટીંબો’ મળે છે. આ નવલકથા કુલ વીસ પ્રકરણમાં વિસ્તરે છે. આ નવલકથાનો વાર્તાપ્રવાહ રસાત્મક રીતે સળંગ સૂત્રતાએ ચાલે છે. કથામાં લેખકે અનુભવેલી જીવનની તડકી-છાંયડીનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે.
પ્રસ્તુત નવલકથામાં લેખકે યુગોથી વ્યાપેલી જાતિગત અસમાનતા એવી સવર્ણો અને દલિતો વચ્ચેની ખાઇને પૂરવાનો પ્રયત્ન કર્યો છે. આ નવલકથાનો વિસ્તાર દેવયાની ગામથી આરંભાઇ અમેરિકા અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરે છે. નવલકથામાં મુખ્યત્વે ત્રણ સમાજ ચર્ચાયા છે. એક દલિત સમાજ, ઠાકોર સમાજ, અને પટેલ સમાજનો અછડતો ઉલ્લેખ પણ થયો છે. એ અહીં ગૌણ છે. આ ઉપરાંત મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર પોલીસ ઇન્સપેક્ટર ખાન સાહેબનું મળે છે.
‘ગેબીટીંબો’ નવલકથામાં મુખ્ય બે પાત્રો છે. વાર્તાનાયક આકાશ અને વાર્તાનાયિકા સ્વાતિ આકાશ એદલિત કુટુંબમાંથી આવે છે. જે સમગ્ર દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર છે. આ પાત્રની મુખ્ય વિશેષતા એ છે કે ખૂબ જ હોંશિયાર, ગંભીર અને સમજું છે. જે સમગ્ર નવલકથાના પ્રવાહને વેગવંતો કરી મૂકે છે.
નવલકથાનું બીજું મુખ્ય પાત્ર વાર્તાનાયિકા સ્વાતિનું છે. સ્વાતિ એક સવર્ણ કુટુંબમાંથી આવે છે. તેની સાથે આકાશની નિર્મળ મૈત્રી બંધાય છે. અને વાર્તાનાયક આકાશના પાત્રની ગરિમા જળવાય તે મુજબ વર્તે છે. પ્રસ્તુત નવલકથામાં વાર્તાનાયકના પાત્ર કરતાં વાર્તાનાયિકાનું પાત્ર મૂઠી ઊંચેરું બની રહે છે. તેની પાસે ધન-દોલતની, સુખ-સગવડની કોઇપણ વાતની કમી હરપળ મુશ્કેલીઓ અને મુસીબતોનો જ સામનો કરવો પડે છે. છતાં તેનું નિષ્કલંક ચારિત્ર્યબળ ઉત્તમ કોટિનું પુરવાર થાય છે.
આ નવલકથામાં વાર્તાનાયક આકાશ એના દલિતપણાની કુંઠાથી પીડાય છે. વાર્તાનાયક એ દલિત સમાજમાંથી આવતો હોવા છતાં તે સમગ્ર માનવજાતની સેવા કરે છે તેમ છતાં તેના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવે છે તેનાથી જ નવો માર્ગ સૂઝે છે.
નવલકથામાં અન્ય ગૌણ પાત્રો પણ એટલા જ મહત્વનાં છે. જેમાં ગામના સરપંચ ચંદુજી, ખાનાસાહેબ, ધનકી, નટવર, ચંદ્રકાન્ત, કરતારસિંગ, ઝાલાસાહેબ, જયેશ-પમ્મી વગેરે પાત્રો દ્વારા વાર્તાપ્રવાહ ગતિશીલ બની રહે છે.
આ ઉપરાંત વાર્તાનાયક આકાશની માતા મણિનું પાત્ર એ નવલકથામાં વાર્તાનાયિકા સ્વાતિ પછીનું બીજું મહત્વનું પાત્ર નવલકથામાં ખલનાયકના પાત્ર તરીકે મંગાજી અ પ્રતાપસંગનું પાત્ર ઉપસી આવે છે. આ બંને પાત્રોની ભૂમિકા મહત્વની છે. એક ખૂંખાર, જનવાણી-ગ્રામીણ સંસ્કાર ધરાવતા માણસને સમય જ સત્ય સમજાવે છે. કદાચ ચંદુજીના પાત્ર દ્વારા લેખક આ જ સંદેશ પાઠવવા માગે છે. તે છે આસ્થા અને કાળદેવતા પર ટકેલી શ્રદ્ધા છે.
નવલકથાની ભાષા શૈલી ખૂબ જ અગત્યનું અંગ છે. પ્રસ્તુત નવલકથાશિષ્ટ ભાષામાં લખાઇ છે. છતાં સમગ્ર નવલકથાના વાર્તાપ્રવાહમાં સંખ્યાબંધ રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો સહજ રીતે આવી ગયા છે. નવલકથાના સંવાદો સચોટ રીતે આલેખાયા છે. જેનાથી નવલકથાના પાત્રો ઉઘાડ પામે છે. ‘ગેબીટીંબો’ નવલકથામાં દેવયાની ગામનું ગ્રામ્ય વાતાવરણ અને અમદાવાદ શહેરની ચાલી, સીવીલ હોસ્પિટલનું વાતાવરણ તાદ્રશ્ય થાય છે. આ ઉપરાંત પશ્ચિમી સંસ્કૃતિના પરિવેશનો અછડતો ખ્યાલ આવે છે.
આ નવલકથામાં દેવયાની ગામના દલિત વાસમાં રહેતા લોકોની રોજિંદી મુશ્કેલીઓ અને તેમના સામાજિક દરજ્જાનો ખ્યાલ આવે છે. તે જ ગામમાં સવર્ણોમાં ઠાકોર સામાજિક સ્થિતિ અને તેમની આનુવંશિક ખુમારીનાં લક્ષણોનો પરિચય થાય છે. સાથોસાથ વાર્તાનાયિકા સ્વાતિના પરિવારની દાન-પૂણ્યની ભાવનાનાં દર્શન થાય છે.
પ્રસ્તુત નવલકથામાં પ્રવાહમાં વચ્ચે વચ્ચે ધટના-પ્રસંગ બનતા જાય છે. તેમાં ધ્યાનસ્થ ઘટનાઓ કેટલીક છે. જેમાં ધનકીને આબરૂં લુંટાઇ તે, નાયકના સાથી મગનની દુર્દશાનું ચિત્ર, સ્વાતિની ગ્રામસભાનું સંબોધન, આકાશના પિતાના મૃત્યુની ઘટના વગેરે ઘટના પ્રસંગ ચિંતા અને ચિંતન કરાવે તેવા છે.
‘ગેબીટીંબો’ નવલકથા પરંપરાગત દલિત સાહિત્ય કરતાં નવો ચિલો ચાતરતી કૃતિ છે. આ કૃતિમાં સર્જકનો અભિગમ સમન્વયકારી અને વિધેયાત્મક રહ્યો છે. એથી અન્ય દલિત સાહિતકારો જેવી આક્રમકતા આ કૃતિમાં વરતાતી નથી પણ દલિતોનાં દુઃખ અને તેમની વેદના-સંવેદના સર્જકકર્મ અનુભવે છે. આ કૃતિનો કથાનાયક એ જ દર્દની દાસ્તાન કથે છે. પણ એનો દ્રષ્ટિકણો વિધેયાત્મક છે.
ગુજરાતી સાહિત્યમાં ખળભળાટ મચાવી મુકનાર દલિત સાહિત્ય કરતાં અહીં કશુંક જુદું નવું અને આસ્વાધ્ય, રુચિકર સર્જન ઉપલબ્ધ થયું છે. એમાં સંઘર્ષની લગોલગ સમાધાન છે. જે વાર્તાનાયક આકાશના વ્યક્તિત્વમા વણાય ગયેલ છે. આ કૃતિમાં વાર્તાનાયિકા સ્વાતિનું પાત્ર ગુજરાતી સાહિત્યની નાયિકાઓની હરોળમાં આવી શકે તેવું આશાસ્પદ પાત્ર છે. સર્જકની શ્રદ્ધા ‘સ્વ’ ને ‘સમષ્ટિ’ માં ફેરવવાની છે.
‘ગેબીટીંબો’ નવલકથામાં ગંભીર ચિંતનાત્મક અને સમાજલક્ષી મનોમંથનનું વસ્તુ છે. લેખકે દલિત એમાંય ચમાર જ્ઞાતિની વારસાગત નિર્બળતાનો તાદ્રશ ચિતાર આપ્યો છે. એટલે જ આ નવલકથા સમૃદ્ધ સામાજિક નવલકથા બની શકી છે. સમગ્ર નવલકથામાં પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની સરવાણી વહેતી અનુભવાય છે. પ્રસ્તુત નવલકથાની એક મર્યાદા જણાય છે તે અંતે સ્વાતિનું ગામ લોકો દ્વારા બહુમાન એક દિવસ આકાશનું વિશ્વસંઘ દ્વારા આમંત્રણનું પ્રસ્થાન અને 26મી જાન્યુઆરીના દિવસ આ ત્રણેય બાબત વાચકને ખૂંચે તેવી છે. પણ કોઇક નવા જ સંદર્ભ પણ છુપાયેલો છે તે વિશ્વદર્શન, મનુષ્યની આઝાદી એ બે સંદર્ભે સંકેત આપે છે.
આમ, આ નવલકથા એક સમન્વય કથા બની રહે છે. આ એક જ કથામાં એકાધિક ઉપકથાઓ ગૂંથીને લેખકે બહોળા ફલક પર વિસ્તરની મોટો ત્રિપરિમાણી પુરુષાર્થ કર્યો છે. આ નવલકથા દલિત સમાજના સચોટ દસ્તાવેજી અહેવાલ બની રહે છે. જે વાચકને પ્રણયકથા લેખે પણ વાંચવી અને વાગોળવી ગમે એવી કૃતિ બને છે. લેખકે દલિત સમાજનો ઝીણવટભર્યો અભ્યાસ, અવલોકન અને દલિત-સમસ્યાના સ્વાનુભાવનો નિચોડ આપવાનો શુભ સંકલ્પ આ નવલકથાથી કર્યો છે. ‘ગેબીટીંબો’ ખરે જ આપણી ભીતર જીવતા વાચકને ગમી જાય એવી સફળ રસપ્રત નવલકથા છે.
નર્મ, મર્મ હાસ્યની છોળો ઉડાડતી નિબંધિકાઓ
ગુજરાતી ભાષા સાહિત્યમાં શ્રી મુધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ હાસ્યલેખન, વિવેચન, સંપાદન અને અનુવાદ વગેરે જેવા ક્ષેત્રોમાં એમનું પ્રદાન રહ્યું છે. ગુજરાતી હાસ્ય સાહિત્ય ક્ષેત્રે જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટની સાથે શ્રી મધુસૂદન પારેખનું નામ હાસ્ય લેખક તરીકે મૂકી શકાય. શ્રી મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ એ હળવા નિબંધોની સાથોસાથ નિબંધિકાઓના સંગ્રહો પણ આપ્યા છે. ‘સૂડી સોપારી’, ‘વિવોદાયન’, ‘હાસ્યદેવાય નમઃ’, ‘પ્રિયદર્શીની હાસ્યલીલા’ વગેરે નિબંધિકાઓના સંગ્રહો મળે છે. ‘પ્રિયદર્શીની નિબંધિકાઓમાં’ એમાં એક વધુ ઉમેરણ છે.
‘પ્રિયદર્શીની નિબંધિકાઓમાં’ 39 જેટલી નિબંધિકાઓનો સમાવેશ થયેલા છે. આ સંગ્રહમાં ‘શ્રીમતીનું સમાજસેવા મંડળ’ થી શરૂ કરી ‘આખરે હું લેખક થયો ખરો !’ ત્યાં સુધીની નિબંધિકાઓની સફરમાં તેમણે નર્મ-મર્મ એમ બંને પ્રકારની હાસ્યની છોળો ઉડાડી છે.
‘શ્રીમતીનું સમાજસેવા મંડળ’ એ નિબંધમાં સ્ત્રીઓ સમાજસેવા કરે છે. પરંતુ એમના જ ઘરનું કામ નથી કરતી, અને પુરુષોને ઘરના નોકરની જેવા હાલ કરે છે. એ કેવી સમાજસેવા છે ? પ્રસ્તુત નિબંધમાં વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મળે છે. સાથોસાથ લેખકે આધુનિક વિચારસરણી ધરાવતી સમાજસેવા મંડળોમાં વ્યસ્ત સ્ત્રીઓ પર માર્મિક વ્યંગ કર્યો છે. અન્ય એક નિબંધમાં શીલાના મિત્રની કફોળી સ્થિતિનું વર્ણન થયું છે. જેના દ્વારા લેખક વાચકને પેટ પકડીને હસાવે તેવી રમૂજ રજૂ કરી છે.
‘અમારા બાબાના લગ્નનું આલબમ તો જુઓ !’ એ નિબંધિકામાં વીરુભાઇને તેમના સંબંધી એમનાં બાબાના લગ્નનો આલબમ બતાવે છે. દરેક ફોટાનો પરિચય અને એની પ્રશંસા કરે છે. સાથોસાથ વિવેચન કરે છે. આ પ્રસંગમાં વીરુભાઇની હાલત પર વાચકને દયા આવી જાય તેવી છે. તેમની કપરી સ્થિતિમાંથી જન્મતું હળવું હાસ્ય પ્રગટે છે. લેખકે અહીં પ્રશંસા ભૂખ્યા મામસો પર હળવો માર્મિક વ્યંગ કર્યો છે.
‘તમે અમેરિકા જવાના છો ? ત્યારે....’ એ નિબંધિકામાં અમેરિકા જતા વ્યક્તિને સગાસંબંધીઓ તરફથી કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે આ નિબંધમાંથી ફોઇબા, મામા અને બનેવીના કામોક માગણી પરથી જણાય છે. માણસ અમેરિકા જતા પહેલાં કેન્સલ કરી નાખે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ જાય છે. અહીં હળવું હાસ્ય પ્રગટે છે. ‘મંદિરમાં બૂટ-ચંપલની બબાલ’ એ નિબંધિકામાં ભગવાનનાં દર્શન માટે મંદિર બહાર બૂટ-ચંપલ કાઢવાની રામાયણ સર્જાય છે. તેમાં પત્નીનો કરકસરિયો સ્વભાવ પ્રગટે ચે. પત્નીનાં ચંપલ સાચવવા પતિ મંદિર બહાર બેસે છે. ત્યાં અન્ય એક પરિચિત સ્ત્રી ચંપલ મૂકીને દર્શન કરવા જાય છે. એ પછી સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો આદરભાવ કેટલો હોય છે. તેનાં દર્શન લેખક વ્યંગ્યાત્મક રૂપમાં પ્રગટ કરે છે. અન્ય એક નિબંધિકામાં રીટાયર્ડ પતિને એની પત્ની ઉપાધિ સમજે છે.
‘’બધું હપ્તે-હપતે એ નિબંધિકામાં ધનીરામ જેવા મામસો સમાજમાં ઘણા છે. જે પોતાની દીકરીનાં લગ્ન પણ હપતે-હપતે કરે છે. ઘરે ઉઘરાણી આવે તો તેને પણ વાયદો આપવામાં હોંશિયાર છે. અહીં ચાર્વાકમુનિનો એક શ્લોક યાદ આવે છે કે ‘ઋણ’ કૃત્વા ધૃતપી બને ? ધનીરામ દેવું કરીનેય ઘી પીવું એવું માનનારા ફિલસૂફ છે. આ નિબંધનો વિષય નાવિન્યતાથી રજૂ કર્યા છે. જે વાચકને આનંદ આપે છે.
‘મફત મેળવવાની મઝા’માં આપણા લોકો છાપું પણ મફત વાંચે છે. પછી પુસ્તકો તો કોણ ખરીદીને વાંચે. આ નિબંધમાં મફતમાં છાપું વાંચવાનું અને પછી રાખવાની અહીં મફતનું લેવાવાળા લોકોનાં વ્યક્તિત્વનો પરિચય મળે છે. ‘ઉનાળાની એક યાદગાર બપોર’ માં ઉનાળાની બપોરનાં વિવિધ સ્વરૂપ, પંડિત અને મહારાજ જેવા શબ્દોનો વિનિપાત થયો છે. એનો અહીં નિર્દેશ છે. આ ઉપરાંત કાકા સાહેબ કાલેલકર અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક યાદગાર મુલાકાતમાં વિનોદ પ્રગટે છે. ‘એક રાજકીય નેતાના ઉપવાસ’ એ પ્રસંગમાં વિરોધ પક્ષના નેતા સરકાર સામે ખેડૂતો માટે ઉપવાસ કરે છે. પરંતુ નેતાજીના આ ઉપવાસની અસર કોઇને ખાસ થઇ નહીં. અહીં નેતાની સ્થિતિનો ચિતાર આપ્યો છે. જેમાં વર્તમાન રાજકારણમાં દંભી નેતાઓ પોતાની પબ્લિસીટી કરવા માટે કેવા નુસખા અજમાવે છે. તેના પર વૈધક કટાક્ષ કર્યો છે. ‘અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યુ દીસે’ એ પંક્તિના શીર્ષકને આ નિબંધિકામાં દાસકાકા અને આન્ટીના જીવન દ્વારા સાર્થક થાય છે. એમના જીવનમાં મઝા જ કરવી એવો એમનો સિદ્ધાંત છે. આ દંપતિ અબાલવૃદ્ધને શરમાવે તેવી સ્ફૂર્તિથી સુંદર જીવન જીવે છે. કવિ શ્રી કલાપીની ઉપર્યુક્ત પંક્તિ યથાર્થ છે.
‘એક ભિખારીનો ઇન્ટરવ્યુ’માં ભિકારીના વ્યવસાયમાં હવાલદારને હપતો આપવો પડે છે. આપણા સમાજમાં હપતો આપવાની લેવાની પ્રથા ઘર કરી ગઇ છે. ભિખારીઓના ઇન્કમટેક્ષ ઓફિસર હવાલદાર. આ ભિખારી અંગ્રેજીમાં બોલીને ભિખ માગે છે. એને પૂછવામાં આવ્યું કે તું અંગ્રેજી જાણે છે તો એણે કહ્યું કે ઇમ્પ્રેશન પાડવા, વ્યવસાયમાં ટકી રહેવા માટે અંગ્રેજી થોડું શીખી ગયો છું. મારી પત્ની આંધળીનો રોલ કરી ભિખ માંગે છે. ભિખારી દંપતિના નામ અદભૂત છે. ‘કબીર’ અને ‘લખમી’ નામ થતાં ભિખારી છે. આ નિબંધમાં લેખકે વાચકને હાસ્યરસના કુંડમાં સ્નાન કરાવી દે છે, અને વર્તમાન ભિખારીઓની સ્થિતિનો ચિતાર પણ આપે છે.
આ નિબંધિકાઓના સંગ્રહમાં ‘પેટ તે જ શ્રેષ્ઠ’ માં પેટના મૂલ્ય અને તેનો આધાર સર્વ અંગોમાં મહત્વનો છે. જ્યારે રેલવે મુસાફરીની રોચક વાત ‘રાત્રિ ટ્રેનની મુસાફરી: એક અનુભવ’ નિબંધમાં નિરૂપાઇ છે. અન્ય એક નિબંધમાં સત્તા-ખુરશીના પૂજારીઓ કેટલી હદ સુધી જાય છે. તેનો ચિતાર મળે છે. જેમાં વર્તમાન રાજકારણમાં ધર્મના નામે ગોરખધંધા ચાલે છે. તેનો નિર્દેશ કર્યો છે.
‘ગુર-શિષ્યની બોધકકથા’ નિબંધમાં ભોલારામ પોતાના ગુરુ સ્વામી ધૂર્તાનંદસ્વામી પાસે આશીર્વાદ લેવા જાય ત્યારે ભોલારામે પોતાના ગુરુ પાસે રાજકારણમાં પ્રવેશવાની વાત કરી છે. ગુરજી શિષ્યને રાજકારણના પાઠ ભણાવે છે. શિષ્ય પ્રધાનપદ મેળવી લે છે અને આશ્રમની જમીન રિંગરોડમાં કપાય છે ત્યારે ગુરુજી શિષ્ય પાસે જાય છે. પણ શિષ્ય ગુરુજીને કહે છે કે રાજકારણમાં વચનો આપવાના હોય પાળવાનાં હોતા નથી. અહીં ગુરુ-શિષ્ય જેવા પવિત્ર સંબંધમાં રાજકારણે પ્રવેસ કરી લીધો છે.
આ ઉપરાંત ‘અહીં કશું ખોવાનું નથી ને કશું જડતું નથી’ નિબંધમાં પુરુષોની દરેક વસ્તુ શોધવામાં પત્નીનો સહારો લે છે. ત્યારે જે સંવાદો થાય છે તેમાંથી હળવું હાસ્ય નિષ્પની થાય છે. અન્ય એક નિબંધમાં મનુષ્યની નિર્ણયશક્તિ કેટલી મકક્મ છે એની વાત કરી છે. ‘આખરે હું લેખક થયો ખરો !’ એ નિબંધમાં લેખક બની સાહિત્ય સેવા કરવી ઇન્ચનાર વ્યક્તિનાં વ્યક્તિત્વનાં દર્શન થાય છે. જેમાંથી એવાં લહિયો લેખક બને એવું માનનાર વર્ગ પરકટાક્ષ કર્યો છે.
આમ, આ સમગ્ર નિબંધિકાઓમાંથી શ્રી મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ની કલમની તાજપ જણાય છે. હાસ્ય નિબંધિકાઓમાં એમનો વિનોદ ક્યારેય કટુ બનતો નથી. એમનું મૃદુ અને મિષ્ટ વિનોદ હાસ્ય આ નિબંધિકાઓમાંથી મળે છે. આ નિબંધિકાઓમાં મોટે ભાગે કૌટુંબિક તેમજ સામાજિક ઘટનાઓ દ્વારા વાચકોને હાસ્ય પીરસાયું છે. એમના હાસ્યને અબાલવૃદ્ધથી પીઢ સાહિત્યવિવેચકોએ બિરદાવ્યું છે. શ્રી મધુસૂદન પારેખે ‘પ્રિયદર્શી’ તખલ્લુસ આ નિબંધિકાઓ દ્વારા સાર્થક કર્યું છે. અને એમાં એમનું સૂક્ષ્મ વૈચારિક હાસ્ય સહૃદય વાચક-ભાવકોને હાસ્યરસથી તરબોળ કરી મૂકશે એવી અભ્યર્થના.
વાસ્તવાભિમુખ વાર્તાવિશ્વ : છેલ્લું ફરમાન
ઇવાડેવ ગુજરાતી સાહિત્યક્ષેત્રે જાણીતું નામ, તેમની પાસેથી ‘આગંતુક’, ‘તરંગિણીનું સ્વપ્ન’, ‘તહોમદાર’, ‘કાળરાક્ષસ’ વગેરે જેવા પાંચેક વાર્તાસંગ્રહો આ પહેલા મળી ચૂક્યા છે. જેમાં આ એક વધુ વાર્તાસંગ્રહ ‘છેલ્લું ફરમાન’ નામે મળ્યો છે. આ ઉપરાંત તેમની પાસેથી ‘ઇસુને ચરણે’, ‘પ્રેયસી’, ‘મિશ્રલોહી’ જેવી લધુનવલો પણ મળી છે. આ સંગ્રહની વાર્તાઓ આ પહેલાં કુમાર, અખંડઆનંદ, ચિત્રલેખા, પરબ વગેરે સામયિકોમાં પ્રગટ થઇ ચૂકી છે. ઇવાડેવની વાર્તાઓમાં જીવનના વિવિધ પ્રશ્નો કેન્દ્રમાં રહેલા જોવા મળે છે. જેમાં દામ્પત્યજીવન, સમાજ, કુટુંબ વગેરે જેવા પ્રશ્નો છે. આ વાર્તાસંગ્રહની કેટલીક વાર્તાઓમાં મધ્યમવર્ગના માનવીઓ, વર્તમાન સામાજિક પ્રશ્નો, ધાર્મિક-રાજકીય પ્રશ્નો તથા સ્ત્રીઓને લગતી સમસ્યાઓને વાર્તાઓમાં વણી લીધી છે. આ વાર્તાસંગ્રહમાં કુલ 23 વર્તાઓનો સમાવેશ થયેલો છે. જેમા ‘છેલ્લું ફરમાન’થી ‘નેણમાં નેહ હોય યે !’ ત્યાં સુધી વાર્તાપ્રવાહ વહેતો જાય છે. આ વાર્તાસંગ્રહમાં વાર્તાઓનાં શીર્ષકો વૈવિધ્યવાળા છે. તેમ વિષયવસ્તુ પણ વૈવિધ્યસભર છે.
‘છેલ્લું ફરમાન’ વાર્તામાં વાર્તાકાર ઇવાડેવની ભાષાશૈલી તથા સુંદર વર્ણનોથી વાર્તાને વેગ મળે છે. આ વાર્તામાં મધ્યમવર્ગીય શસાદ અને સલમાનની પ્રેમગોષ્ઠની આસપાસ આખીય વાર્તાનું ફલક વિસ્તરે છે. વાર્તામાં ગરીબીનું દારૂણ ચિત્ર રજૂ થયું છે. આ વાર્તાઓ દિલ્હીથી શરૂ થઇ બાંગ્લાદેશના ઢાકા શહેરનો એક નાના આંતરિયાળ ગામમાં પૂરી થાય છે. આ વૈશિવન્ક સંદર્ભ સર્જકે ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો છે. આ બે દેશના બે મહત્વના શહેરોના સંદર્ભો બે સંસ્કૃતિનો પરિચય આપે છે. આ વાર્તામાં વાર્તાગાયિકા શમશાદની અત્યંત દયનીય સ્થિતિ સમગ્ર નારી જાતિની સામાજિક નિખાલસ-નિર્મળ અને બહાદુર છે. શમશાદના જીવન ઉપરથી પ્રેરણા લઇ સલમાન પણ હિંમત દાખવે છે. વાર્તાનાયક સલમાન અને વાર્તાનાયિકા શમશાદના જીવનનું છેલ્લું ફરમાન મોલવીજી કરે છે. એ ઘટના દ્વારા વાર્તાનો સુખદ અંત આવે છે. તે ઘટનાથી શીર્ષક યથાર્થ થાય છે.
‘દાદો કેમ ઊઠતો નથી’ એ વાર્તામાં વાર્તાકારે વિશિષ્ટ પ્રાદેશિક બોલીનો પ્રયોગ કર્યો છે. આ વાર્તામાં દાદાને અકસ્માત થાય છે. તે ઘટનાની આસપાસ કથાવસ્તુ ગૂંથાયું છે. આપણી શાસન વ્યવસ્થાનો કૂટ પ્રશ્ન અહીં પ્રસ્તુત થયો છે. કોઇપણ જગ્યાએ અકસ્માત થાય ત્યારે પહેલાં પોલીસ પંચનામું કરે છે. પછી તે ઘાયલ વ્યક્તિને દવાખાને ખસેડાય ચે. તે બાબત પર ધ્યાન દોર્યું છે. જે આપણા દેશની વ્યવસ્થાની નબળાઇઓ છતી કરતી વાર્તા છે. ‘ભાઇચારો’ એ વાર્તામાં ગુજરાતમાં થયેલ ગોધરા હત્યાકાંડ પછીનું જે વાતાવરણ ખડું થયું હતું તે આલેખાયું છે. નાના-મોટાં શહેરોમાં અજંપાભરી સ્થિતિ વર્ણાવાઇ છે. આ વાર્તામાં બે કોમના લોકો વચ્ચેનો પ્રેમ, આદર અને ભાઇચારો કેટલો છે તે અહીં જોવા મળે છે. આ ઉપરાંત આવી તનાવભરી સ્થિતિમાં પોલીસ કર્મચારીઓની ભૂમિકા પ્રસંશનીય બની રહે છે. આ વાર્તામાં સર્જકનો હેતુ દેશમાં જે ધાર્મિક વૈયમનસ્ય પ્રગટ્યું છે તે પ્રશ્નો ઇંગિત કરીને શાંતિ સ્થાપવાનો જણાય છે.
‘વેદિયો’ વાર્તામાં મધ્યમ વર્ગની મુસીબતોને કારણે નવપરિણિત યુગલનું જીવન ખંડિત થાય છે. આ વાર્તામાં નાયક વાદિયાની જેમ વર્તન કરે છે. માટે તેના લગ્નજીવનમાં તિરાડ પડી છે. વાર્તાનાયિકાનું પાત્ર આધુનિક નારીનું પ્રતિબિંબ ઝીલતું જણાય છે. વાર્તાનાયિક મુક્ત વિચારસરણી ધરાવે છે. સમગ્ર વાર્તાનું વિષયવસ્તુ વાર્તાનાયિકા ઘર છોડીને જાય છે. તેની આસપાસ વિસ્તાર પામે છે. આ વાર્તામાં પરંપરાગત અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ દેખાય છે. ‘ઘરની પ્રેમલીલા’ વાર્તામાં એક સ્ત્રીની લાચાર સ્થિતિનું બયાન છે. આ વાર્તામાં વડીલ ગૃહોમાં ચાલી રહેલા ટ્રસ્ટીઓની ઇજારાશાહી તરફ અંગૂલિનિર્દેશ થયો છે. સમાજમાં સેવાને નામે ચાલતા શોષણ તરફ આ વાર્તા આંગળી ચિંધે છે. ‘માબાપ અને બાળકો’ એ વાર્તામાં એક હર્યોભર્યો, પરિવાર વેરવિખેર થઇ ગયો છે. તેમાં કોણ જવાબદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેની દૂરી અને એકલતા તમને ક્યાં લઇ જાય છે તે અહીં નિર્દેશાય છે. એક પુરુષનો પરસ્ત્રી પ્રત્યેનો ભાવ સુખી દામ્પત્યજીવનમાં તિરાડ પાડી દે છે. આ વાર્તામાં વાસંતીની સહિષ્ણુતા અને અનુરાગની વાસ્તવથી દૂર ભાગવાની વૃત્તિ જણાય છે. આ દંપતિના બે બાળકો માતા-પિતા વચ્ચે પડેલી વૈચિરક ભૂમિકાની ખાઇને પુરવાનો પ્રયત્ન કરે છે. આ વાર્તાના વસ્તુ-વિકાસમાં પાંચમું ગૌણ પાત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. જેનાથી વાર્તાને વેગ મળે છે. આ વાર્તામાં દામ્પત્યજીવનનાં પ્રશ્નો સુંદર રીતે ગૂંથાયા છે.
એક વિલક્ષણ ક્ષણ એ વાર્તામાં વાર્તાનાયક તેમની ઓફિસની છોકરી કમલિનીનું આકર્ષણ અનુભવે છે. અને તેને વ્યક્ત પણ કરે છે. આ વાર્તામાં આજના આધુનિક સમયમાં સ્ત્રીઓની સાથે થતા આવા વ્યવહારોનો નિર્દેશ થયો છે. વાર્તાકારની અદભૂત વર્ણનશૈલી કાવ્યાત્મક રૂપમાં વર્ણવાઇ છે. આ વાર્તામાં નોકરી કરતી સ્ત્રીઓને પુરુષ વર્ગ તરફથી વેઠવા પડતાં શોષણનો નિર્દેશ થયો છે.
‘અનોખું તીર્થસ્થાન’ વાર્તામાં વાર્તાનાયક ચીનુ અને ઘેલછા છે. ચીનુને વિદેશ અભ્યાસ દરમ્યાન મિસ્ટર બાકરાથ બાકરાથના પરિવારના સભ્ય તરીકે રહેતો હતો તે સમયની યાદો તાજી થાય છે. વાર્તાનાયક ફરીથી વોશિંગ્ટન જાય છે ત્યારે સુધા પણ હોય છે. સુધાને લઇને મિસ્ટર બાકરાથના ઘરે જાય છે. મિસ્ટર બાકરોથના જીવનનો ખાલીપો આ દંપતિ દ્વારા આનંદમાં પરિણમે છે. વાર્તાનાયક જઇ ચડે છે અને તેમને નવો જ અનુભવો થાય છે. આ વાર્તામાં વાર્તાકારે મિસ્ટર બાકરોથ અને મિસિસ બાકરાથના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. તો સાથસાથ તેમના સંતાનોની વ્યક્તિગત લાક્ષણિક્તાઓનો પણ પરિચય થાય છે. જે આજે દુનિયામાં હયાત નથી. ‘ભાયડા ગણવા !’ એ વાર્તામાં સમાજમાં વ્યાપેલી દેરાણી-જેઠાણી વચ્ચેની રોજરોજની રામાયણ ઘર માટે કેવી મુસીબત છે અને આખી બાબત અંધશ્રદ્ધા તરફ કઇ રીતે જાય છે તેનું સુંદર નિરૂપણ થયેલું છે. લેખકે કુટુંબજીવનના પ્રશ્નો વણી લઇને અંધશ્રદ્ધાની તરફ સમસ્યા નિર્દેશ કર્યો છે. ‘એચ-વીઝાનું છટકું’ એ વાર્તામાં વાર્તાનાયિકા મંદાની દર્દભરી કહાની છે. આ વાર્તામાં મંદાના લગ્ન જીવનમાં પડેલી મુશ્કેલીઓ અને અમેરિકામાં લગ્નજીવન કઇ રીતે સુખેથી જીવી શકાય તે માટેના પ્રયત્નો જણાય છે. વીઝાની અટપટી વાતો અને અમેરિકાનું રોજિંદુ જીવન કેવું છે તે બાબત અહીં મંદાના મુખે ફ્લેશબેકમાં કહેવાયેલી વેદનાભરી કહાની છે. આ વાર્તામાં એક પત્ની પોતાના પતિને સુખી કરવા માટે કેટલી હદ સુધી સહન કરે છે. તે બાબત ધ્યાનાકર્ષણ છે. આ વાર્તામાં અમેરિકા તરફનું આંધળું આકર્ષણ ત્યાંના કલ્ચરના પ્રભાવથી કેટલીયે સ્ત્રીઓની જિંદગીમાં આવતી સમસ્યાઓ તરફ મંદાના પાત્રતી પ્રકાશ ફેંકાયો છે.
‘વનવગડાનો માણસ’ એ વાર્તામાં ઝીણાભાઇનું પાત્ર એના જીવન દરમ્યાન પોતાના નિખાલસ અને નિર્મળ સ્વભાવની છાપ છોડીને વનવગડાનો માણસ થઇને ચાલ્યો જાય છે. આ વાર્તામાં મધ્યમવર્ગ અને અશિક્ષિત સમાજની રૂઢિઓનાં દર્શન થાય છે. મધ્યમવર્ગીય સમાજ રૂઢિ અને પરંપરામાં પિસાઇને જીવે છે તે વાત રજૂ થાય છે.
‘નેણમાં નેહ હોય તો...!’ વાર્તામાં રાજેશ અને શીલાના લગ્નજીવમાં તેમની બાળકી વિભૂતિ મિલનના સેતુરૂપી બને છે. તેની વાત નાયક રાજેશે શીલા સાથે છૂટાછેડા લીધા છે. રાજેશ એકભીલ કન્યા નબી સાથે બીજા લગ્ન કરે છે. આ લગ્ન શીલા જુએ છે. ત્યારે તેને રાજેશને જે બીક હતી તે અહીં નજરે નથી પડતી. નબી રાજેશની વાત કરે છે અને કહે છે કે નેણમાં નેહ હોય એટલે ઘણું છે. આ વાક્યમાં ઘણું કહેવાઇ ગયું છે. આ વાર્તામાં શિક્ષિત અને અભણ વચ્ચેનો ભેદ દર્શાવાયો છે. નાયિકા શીલાના છૂટાછેડાનું કારણ રાજેશનું વર્તન અને તેનો ડર હતો. આ વાર્તામાં પણ દામ્પત્યજીવનની સમસ્યા નજરે પડે છે.
આમ, આ સંગ્રહની વાર્તાઓ જીવનની આસપાસ ગૂંથાયેલ છે. આ વાસ્તવ સાથે નિસ્બત ધરાવતી વાર્તાઓ છે. જેમાં કુટુંબ જીવન, સમાજજીવન, નારીજીવન, મધ્યમવર્ગીય પ્રશ્નો વગેરે વાર્તાનો ઘાટ પામીને સર્જક ઇવા ડેવની કલમે પ્રગટ્યો છે.
ડૉ.. ભરત ઠાકોર
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત